46 - Al-Ahqaf ()

|

(1) ૧) હા-મીમ.

(2) ૨) આ કિતાબ અલ્લાહ વિજયી, હિકમતવાળા તરફથી ઉતારવામાં આવી છે.

(3) ૩) અમે આકાશો, ધરતી અને તે બન્નેની વચ્ચે દરેક વસ્તુઓને ઉત્તમ યોજના સાથે જ એક નક્કી કરેલા સમય સુધી તૈયાર કરી છે. અને કાફીરોને જે વસ્તુથી ડરાવવામાં આવે છે, (તેનાથી) મોઢું ફેરવી લે છે.

(4) ૪) તમે તેમને કહી દો ! જૂઓ તો ખરા જેને તમે અલ્લાહના સિવાય પોકારો છો, મને પણ બતાવો કે તેઓએ ધરતીનો કેવો ટુકડો બનાવ્યો છે, અથવા આકાશોમાં તેઓનો કેવો ભાગ છે ? જો તમે સાચા હોય તો આ પહેલાનો કોઇ ગ્રંથ અથવા તે જ્ઞાન જે નકલ કરવામાં આવતુ હોય, મારી પાસે લઇ આવો.

(5) ૫) અને તેનાથી વધારે ગુમરાહ કોણ હોઈ શકે છે ? જે અલ્લાહ સિવાય એવા લોકોને પોકારે છે, જે કયામત સુધી તેની ફરિયાદ નહીં સાંભળી શકે, પરંતુ તેઓના પોકારવાથી જ અજાણ છે.

(6) ૬) અને જ્યારે લોકોને ભેગા કરવામાં આવશે તો આ (અલ્લાહ સિવાય જેમને તેઓ પોકારે છે) તેઓના શત્રુ બની જશે અને તેઓ પોતાની બંદગીનો સાફ ઇન્કાર કરી દેશે,

(7) ૭) અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતો પઢી સંભળાવામાં આવે છે તો કાફિર આ સત્ય વાત, જે તેમની પાસે આવી ગઈ છે તેના વિશે કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.

(8) ૮) શું તેઓ કહે છે કે આ (કુરઆન)ને તેણે (મુહમ્મદ) પોતે ઘડી કાઢ્યું છે, તમે તેમને કહી દો કે જો આ (કુરઆન) મેં જ બનાવ્યું હોય, તો તમે મને અલ્લાહની પકડથી નહિ બચાવી શકો, જે વાતો તમે કરી રહ્યા છો, તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે, મારી અને તમારી વચ્ચે સાક્ષી આપવા માટે અલ્લાહ જ પુરતો છે, તે માફ કરવાવાળો અને દયાળુ છે.

(9) ૯) તમે તેમને કહી દો ! કે હું કોઇ અનોખો પયગંબર નથી, ન તો મને ખબર છે કે મારી સાથે અને તમારી સાથે શું કરવામાં આવશે, હું તો ફકત તેનું જ અનુસરણ કરુ છું જેની વહી મારા તરફ કરવામાં આવે છે અને હું તો ફકત ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું.

(10) ૧૦) તમે તેમને કહી દો ! જો આ (કુરઆન) અલ્લાહ તરફથી જ હોય અને તમે તેનો ઇન્કાર કરી દો, બની ઇસ્રાઇલ માંથી એક વ્યક્તિએ આના જેવા (ગ્રંથ) ની સાક્ષી આપી અને તે ઇમાન પણ લઈ આવ્યો, અને તમે ઘમંડ કરતા રહ્યા, (તો તમારી શું દશા થશે) ખરેખર અલ્લાહ આવા જાલિમ લોકોને હિદાયત નથી આપતો.

(11) ૧૧) અને કાફિર ઇમાનવાળા વિશે કહે છે કે જો આ (ધર્મ) શ્રેષ્ઠ હોત તો આ લોકો અમારા કરતા પહેલા ન સ્વીકારતા, અને હવે આ કુરઆનથી તેઓએ હિદાયત પ્રાપ્ત નથી મેળવી, એટલા માટે આ લોકો જરૂર કહેશે કે આ તો જૂનું જૂઠ છે.

(12) ૧૨) અને આ પહેલા મૂસાની કિતાબ (તૌરાત) જે માર્ગદર્શક અને રહેમત હતી અને આ કિતાબ (કુરઆન) તેની પુષ્ટિ કરે છે, જે અરબી ભાષામાં છે, જેથી જાલિમ લોકોને ચેતવણી આપે અને સદાચારી લોકોને ખુશખબર આપે.

(13) ૧૩) નિ:શંક જે લોકોએ કહ્યું કે અમારો પાલનહાર અલ્લાહ છે પછી તેના પર અડગ રહ્યા તો તેમને ન તો કોઇ ભય હશે અને ન તો તેઓ ઉદાસ હશે.

(14) ૧૪) આ લોકો જન્નતી લોકો છે, જે ઓ તેમાં હંમેશા રહેશે, તે કર્મોના બદલામાં જેને તેઓ કરતા હતા,

(15) ૧૫) અને અમે માનવીને પોતાના માતા-પિતા સાથે સદવર્તન કરવાનો આદેશ આપ્યો છે, તેની માઁ એ તેને કષ્ટ વેઠીને ગર્ભમાં રાખ્યો અને કષ્ટ વેઠીને તેને જનમ આપ્યો, તેના ગર્ભ અને દુધ છોડવવાનો સમયગાળો ત્રીસ મહીનાનો છે, ત્યાં સુધી કે જ્યારે તે પોતાની પુખ્તવયે અને ચાલીસ વર્ષે પહોંચયો તો કહેવા લાગ્યો “ હે મારા પાલનહાર ! મને સદબુધ્ધિ આપ કે હું તારી તે નેઅમત નો આભાર માનું, જે તે મારા પર અને મારા માતા-પિતા પર ઇનામ કરી છે, અને હું એવા સદકાર્યો કરૂં , જેનાથી તું પ્રસન્ન થાય અને તું મારી સંતાનને પણ પ્રામાણીક બનાવ, હું તારી તરફ જ માફી માંગુ છું અને હું મુસલમાનો માંથી છું

(16) ૧૬) આ જ તે લોકો છે, જેમના સદકાર્યોને અમે કબૂલ કરીએ છીએ અને જેમના ગુનાહોને માફ કરીએ છીએ. (આ) જન્નતીઓ છે, તે સાચા વચન પ્રમાણે જે તેમને કરવામાં આવતુ હતું.

(17) ૧૭) અને જે લોકોએ પોતાના માતા-પિતાને કહ્યુ કે હું તમારાથી તંગ આવી ગયો, તમે મને આ જ કહેતા રહેશો કે હું મૃત્યુ પામ્યા પછી ફરી જીવિત કરવામાં આવીશ, મારા પહેલા પણ સમૂદાયો આવી ચુકયા છે, તે બન્ને અલ્લાહ સામે ફરિયાદ કરે છે, (અને કહે છે) તારા માટે ખરાબી છે તું ઇમાન લઇ આવ, નિ:શંક અલ્લાહનું વચન સાચુ છે, તે જવાબ આપે છે કે આ ફકત આગલા લોકોની વાર્તાઓ છે,

(18) ૧૮) આ તે લોકો છે, જેમના વિશે જિન્નાતો અને માનવીઓનું એક જૂથ જે આ લોકો પહેલા પસાર થઇ ચુક્યું છે, તેમના પર (અલ્લાહના આઝાબ)ની વાત નક્કી થઇ ગઈ છે, સત્ય વાત એ છે કે આ લોકો જ નુકસાન ઉઠાવનારા છે.

(19) ૧૯) (આ બન્ને પ્રકારના લોકો માંથી) દરેકને પોતાના કર્મો મુજબ દરજ્જા મળશે, જેથી તેઓને તેમના કર્મોનો પુરે પુરો બદલો આપે, અને તેઓના પર જુલમ કરવામાં નહી આવે.

(20) ૨૦) અને જે દિવસે કાફિર જહન્નમ સામે લાવવામાં આવશે (તો તેમનેકહેવામાં આવશે) તમે દુનિયાના જીવનમાં પવિત્ર વસ્તુઓમાં પોતાનો ભાગ લઇ ચુક્યા અને તેના વડે ફાયદો ઉઠાવી લીધો, બસ ! આજે તમને અપમાનજનક અઝાબ આપવામાં આવશે, એટલા માટે કે તમે ધરતી પર ઘમંડ કરતા હતા અને તમે આદેશનું પાલન નહતા કરતા.

(21) ૨૧) (અને આ મક્કાના કાફિરો)સામે આદના ભાઇ (હૂદ)નું વર્ણન કરો, જ્યારે કે તેણે પોતાની કોમને અહકાફ (રેતની ટેકરી) માં ડરાવ્યા અને હૂદ પહેલા પણ ડરાવનારા થઇ ગયા છે અને પછી પણ, કે તમે અલ્લાહ સિવાય કોઇની બંદગી ન કરો. નિ:શક હું તમને એક મોટા દિવસનાં અઝાબથી ડરાવું છું.

(22) ૨૨) કોમે જવાબ આપ્યો, શું તમે અમારી પાસે એટલા માટે આવ્યા છો કે અમને અમારા ઇલાહ (ની બંદગી) થી છેટા રાખો ? જો તમે સાચા છો તો જે અઝાબની ધમકી તમે આપી રહ્યા છો, તે લઇ આવો.

(23) ૨૩) (હુદે) કહ્યું, (તેનું) જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે, મને તો જે આદેશ આપી મોકલવામાં આવ્યો હતો તેને હું પહોંચાડી રહ્યો છું, પરંતુ હું જોઇ રહ્યો છું કે તમે લોકો અજાણ બની રહ્યા છો.

(24) ૨૪) પછી જ્યારે તેઓએ અઝાબને વાદળોના રૂપમાં જોઇ, પોતાની વાદીઓ તરફ આવતા જોયા, તો કહેવા લાગ્યા આ વાદળ અમારા પર વરસવાનું છે, (ના) પરંતુ ખરેખર આ વાદળ તે (અઝાબ) છે જેના માટે તમે ઉતાવળ કરતા હતા, એવું તોફાન, જેમાં દુ:ખદાયી અઝાબ હતો.

(25) ૨૫) જે પોતાના પાલનહારના આદેશથી દરેક વસ્તુને નષ્ટ કરી રહી હતી, છેવટે તેઓ એવા થઇ ગયા કે તેઓને તેમના મકાનો સિવાય કશું જ દેખાતું ન હતું, ગુનેહગારોના જૂથને અમે આવી જ સજા આપીએ છીએ.

(26) ૨૬) અને નિ:શંક અમે (આદની કોમ) ને એવી શક્તિ આપી હતી, જે તમને નહતી આપી, અને અમે તેઓને કાન, આંખો અને હૃદય પણ આપી રાખ્યા હતા, પરંતુ તેઓના કાનો, આંખો અને હૃદયોએ તેઓને કંઇ પણ ફાયદો ન પહોંચાડયો જ્યારે કે તે ઓએ અલ્લાહ તઆલાની આયતો ઇન્કાર કર્યો અને જે વસ્તુનો મજાક તે લોકો ઉડાવતા હતા, તે જ તેમના પર આવી પહોંચી.

(27) ૨૭) અને નિ:શંક અમે તમારી આજુબાજુની વસાહતોને નષ્ટ કરી દીધી અને અમે અલગ અલગ નિશાનીઓ બયાન કરી દીધી, જેથી તેઓ પાછા ફરી જાય.

(28) ૨૮) બસ ! અલ્લાહની નજીક જવા માટે તેઓએ અલ્લાહના સિવાય જેમને પણ પોતાના ઇલાહ બનાવી રાખ્યા હતા, તેઓએ તેમની મદદ કેમ ન કરી ? પરંતુ તેઓ તેમનાથી ગુમ થઇ જશે, અને તેઓનું આ પરિણામ તેમના જુઠ અને ઘડેલી કાઢેલી વાતોના કારણે હશે.

(29) ૨૯) (અને હે પયગંબર તે કિસ્સો યાદ કરો) જ્યારે અમે જિન્નોના એક જૂથને તમારી તરફ લઈ આવ્યા, જેઓ કુરઆન સાંભળી રહ્યા હતા, બસ ! જ્યારે (પયગંબરની) પાસે પહોંચી ગયા તો (એક-બીજાને) કહેવા લાગ્યા, શાંત થઇ જાવ, પછી જ્યારે કુરઆનની તિલાવત થઇ ગઈ તો તેઓ સચેત કરનારા બની પોતાની કોમ તરફ પાછા ફર્યા.

(30) ૩૦) કહેવા લાગ્યા કે હે અમારી કોમ ! અમે ખરેખર તે કિતાબ સાંભળી છે, જે મૂસા પછી ઉતારવામાં આવી છે, જે પોતાના પહેલા ગ્રંથોની પુષ્ટી કરવાવાળી છે, જે સાચા ધર્મનું અને સાચા માર્ગનું સૂચન કરે છે.

(31) ૩૧) હે અમારી કોમ ! અલ્લાહ તરફ પોકારવાવાળાની વાત માનો, તેના પર ઇમાન લાવો, તો અલ્લાહ તમારા ગુનાહને માફ કરી દેશે અને તમને દૂ:ખદાયી અઝાબથી બચાવશે.

(32) ૩૨) અને જે વ્યક્તિ અલ્લાહ તરફ પોકારવાવાળાની વાત નહી માને, બસ ! તે ધરતી પર ક્યાંય (ભાગીને અલ્લાહને) અસક્ષમ નહીં કરી શકે અને ન અલ્લાહ સિવાય કોઇ તેઓના મદદ કરવાવાળા હશે. (જેઓ તેમને અલ્લાહના અઝાબથી બચાવી લે) આ લોકો જ ખુલ્લા ગેરમાર્ગે છે.

(33) ૩૩) શું તેઓ જોયું નથી કે અલ્લાહએ આકાશો અને ધરતીઓનું સર્જન કર્યુ અને તેઓના સર્જન કરવાથી તે ન થાકયો, શું તે મૃતકોને જીવિત કરવા પર શક્તિ ધરાવે છે? કેમ નહી તે તો દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

(34) ૩૪) જે દિવસે કાફીરોને જહન્નમ સામે લાવવામાં આવશે (અને તેમને પૂછવામાં આવશે કે) શું આ (જહન્નમ) સત્ય નથી ? તેઓ જવાબ આપશે કે હાં, સોગંદ છે અમારા પાલનહારના, આ (સત્ય છે). અલ્લાહ કહેશે હવે પોતાના ઇન્કારના બદલામાં અઝાબનો મજા ચાખો.

(35) ૩૫) બસ ! (હે પયગંબર) તમે એવું ધૈર્ય રાખો જેવું ધૈર્ય હિમ્મતવાળા પયગંબરો રાખ્યું અને તેઓ માટે જલ્દી ન કરો, આ (લોકો) જે દિવસે તે (અઝાબ) ને જોઇ લેશે, જેનું વચન કરવામાં આવી રહ્યું છે, તો (એવું લાગશે કે) દિવસની એક ક્ષણ જ (દૂનિયામાં) રહ્યા હતા, આદેશ આપી દેવામાં આવ્યો છે, બસ ! અવજ્ઞાકારી સિવાય કોઇ નષ્ટ કરવામાં નહી આવે.