(1) ૧) જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે.
(2) ૨) અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.
(3) ૩) અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે.
(4) ૪) અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને પોતાની હાલત પર છોડી દેવામાં આવશે.
(5) ૫) અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે.
(6) ૬) અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે.
(7) ૭) અને જ્યારે પ્રાણ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે.
(8) ૮) અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે.
(9) ૯) કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી ?
(10) ૧૦) અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે.
(11) ૧૧) અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે.
(12) ૧૨) અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે.
(13) ૧૩) અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે.
(14) ૧૪) (તે સમયે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે શું લઇને આવ્યો છે.
(15) ૧૫) હું પાછળ હટવાવાળા તારાઓની કસમ ખાઉ છું.
(16) ૧૬) જે સીધા ચાલતા ચાલતા ગાયબ થઇ જાય છે.
(17) ૧૭) અને રાતની, જ્યારે તેનું અંધારું છવાઈ જાય.
(18) ૧૮) અને સવારની જ્યારે તે શ્વાસ લેવા લાગે.
(19) ૧૯) નિ:શંક આ (કુરઆન) એક ઇઝઝતવાળા ફરિશ્તાની લાવેલી વાણી છે.
(20) ૨૦) જે ઘણો શક્તિશાળી છે. અને અર્શવાળા પાસે તેનો ઉચ્ચ દરજ્જો છે.
(21) ૨૧) ત્યાં તેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે.
(22) ૨૨) અને(મક્કાના કાફીરો) તમારા સાથી પાગલ નથી.
(23) ૨૩) તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે.
(24) ૨૪)અને તે ગૈબની વાતો (લોકો સુધી પહોચાડવા માટે) કંજુસ પણ નથી.
(25) ૨૫) અને ન તો આ કુરઆન કોઈ ધિક્કારેલા શયતાનનું કથન છે.
(26) ૨૬) પછી તમે ક્યાં જઇ રહ્યા છો?
(27) ૨૭) આ સમગ્ર સૃષ્ટિના લોકો માટે એક નસીહત છે.
(28) ૨૮) (ખાસ કરીને) તેમના માટે, જેઓ સીધો માર્ગ પર ચાલવા માંગે.
(29) ૨૯) અને તમે ઈચ્છી નથી શકતા પરતું તે જ, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર ઇચ્છતો હોય.