34 - Saba ()

|

(1) ૧) દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે આકાશો અને ધરતીની દરેક વસ્તુનો માલિક છે. આખિરતમાં પણ પ્રશંસા તેના માટે જ છે, તે હિકમતવાળો અને (સંપૂર્ણ) ખબર રાખનાર છે.

(2) ૨) જે ધરતીમાં ઉતરે છે અને જે તે માંથી ઊપજે છે અને એવી જ રીતે જે કઈ આકાશ માંથી ઉતરે અને જે કઈ તેની તરફ ચઢે છે, તે દરેક વસ્તુને જાણે છે અને તે દયાળુ, અત્યંત માફ કરનવાવાળો છે.

(3) ૩) કાફિરો કહે છે કે અમારા પર કયામત નહીં આવે, તમે કહી દો ! કે મારા પાલનહારની કસમ ! કેમ નહી આવે, તે આવીને જ રહેશે, (તે પાલનહારની કસમ) જે ગેબ (નીવાતો)ને જાણે છે, તેનાથી એક કણ બરાબર પણ વસ્તુ આકાશો અને ધરતીમાં છુપી રહી શકતી નથી, પરંતુ તેના કરતા પણ નાની અને મોટી દરેક વસ્તુનો ઉલ્લેખ ખુલ્લી કિતાબમાં છે.

(4) ૪) (અને કયામત એટલા માટે આવશે) જેથી અલ્લાહ તઆલા તે લોકોને બદલો આપે, જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા આવા લોકો માટે માફી અને ઈજ્જતવાળી રોજી છે.

(5) ૫) અને જે લોકોએ અમારી આયતોને હિન બતાવવા માટે મહેનત કરી છે, તેમના માટે ખૂબ જ દુ:ખદાયી અઝાબ છે.

(6) ૬) અને જે લોકોની પાસે જ્ઞાન છે, તેઓ સારી રીતે જાણે છે કે જે કંઈ તમારા પાલનહાર તરફથી તમારી તરફ ઉતારવામાં આવ્યું છે, તે (ખરેખર) સત્ય છે અને તે અલ્લાહનો માર્ગ બતાવે છે, જે વિજયી, પ્રશંસાને લાયક છે.

(7) ૭) અને કાફિર (એકબીજાને) કહે છે, શું અમે તમને એક એવો વ્યક્તિ ન બતાવીએ, જે એવી વાત કહી રહ્યો છે કે જ્યારે તમે (મૃત્યુ પછી) અત્યંત કણ કણ બની જશો, તો તમે ફરીવાર પેદા કરવામાં આવશો.

(8) ૮) ખબર નથી કે તે અલ્લાહ પર જૂઠાણું ઘડી કાઢ્યું છે અથવા તેને પાગલપણું છે પરંતુ (સત્ય વાત એ છે) કે આ લોકો આખિરત પર ઈમાન નથી ધરાવતા, તે લોકોને જ અઝાબ આપવામાં આવશે અને તે લોકો જ દૂરની ગુમરાહીમાં પડેલા છે.

(9) ૯) શું તેઓ આકાશો અને ધરતીને જોઈ નથી, જે તેમને આગળ અને પાછળથી (ઘેરાવમાં લઇ રાખ્યા છે) જો અમે ઇચ્છીએ તો તેમને ધરતીમાં જ ધસાવી દઇએ અથવા તેમના પર આકાશના ટુકડા નાંખી દઇએ, નિ:શંક આમાં સંપૂર્ણ પુરાવા છે, તે દરેક બંદા માટે, જે ચિંતન કરે.

(10) ૧૦) અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું.

(11) ૧૧) (અને તેમને કહ્યું) કે તમે સંપૂર્ણ કવચ (બખતર) બનાવો અને તેની (કડીઓ) સરખી રાખો, (અને દાઉદનાં ઘરવાળાઓ !) તમે સૌ સત્કાર્યો કરતા રહો, નિ:શંક હું તમારા કાર્યોને જોઇ રહ્યો છું.

(12) ૧૨) અને અમે સુલૈમાન માટે હવાને વશમાં કરી દીધી કે તેમનો સવારનો સફર એક મહિનાના સમયગાળા બરાબર હતો, તેવી જ રીતે સાંજનો સમય પણ એક મહિનાના સમયગાળા બરાબર હતો, અને અમે તેમના માટે તાંબાનું ઝરણું વહાવી દીધું અને તેમના પાલનહારના આદેશથી કેટલાક જિન્નાત તેમના વશમાં રહી તેમની સામે કામ કરતા હતા. અને તેમના માંથી જે કોઈ અમારા આદેશની અવગણના કરતો તો અમે તેને ભડકેલી આગનો સ્વાદ ચખાડતા.

(13) ૧૩) જે કંઈ સુલૈમાન ઇચ્છતા, તે જિન્નાત તૈયાર કરી દેતા, જેવી રીતે કે કિલ્લાઓ, ચિત્રો અને હોજ જેવા થાળ અને સગડીઓ પર મોટા મોટા દેગડા, હે દાઉદના સંતાનો ! તેના આભારમાં સત્કાર્યો કરો. મારા બંદાઓ માંથી આભારી બંદાઓ થોડાંક જ હોય છે.

(14) ૧૪) પછી જ્યારે અમે તેમના મૃત્યુનો આદેશ આપ્યો તો (લાકડામાં પડતા) કીડા સિવાય કોઈ વસ્તુએ સુલૈમાનની મોત વિશે ખબર ન આપી, , જે તેમની લાકડીને ખાઇ રહ્યા હતા, બસ ! જ્યારે (સુલૈમાન) પડી ગયા તે સમયે જિન્નાતોએ જાણી લીધું કે જો તેઓ અદૃશ્યની (વાતો) જાણતા હોત, આ પ્રમાણે તકલીફમાં ન હોતા.

(15) ૧૫) સબાની કોમ માટે પોતાની જગ્યાઓમાં એક નિશાની હતી, તેમની જમણી-ડાબી બાજુ બે બગીચા હતા, (અમે તેમને આદેશ આપ્યો હતો કે) પોતાના પાલનહારે આપેલી રોજી ખાઓ અને તેનો આભાર માનો, આ શ્રેષ્ઠ શહેર છે અને તે માફ કરનાર, પાલનહાર છે.

(16) ૧૬) પરંતુ તે લોકોએ અવગણના કરી, તો અમે તેમના પર જળ-પ્રલય મોકલ્યો અને અમે તેમના બગીચાઓના બદલામાં બે (એવા) બગીચા આપ્યા, જેના ફળ કડવા અને ઝાઉ (એક પ્રકારનું વૃક્ષ) અને કેટલાક બોરડીના વૃક્ષો પણ હતા.

(17) ૧૭) અમે તેમની કૃતઘ્નતાનો બદલો આ પ્રમાણે આપ્યો, અમે કૃતધ્નીઓને સખત સજા આપીએ છીએ.

(18) ૧૮) અને અમે તેમની વસ્તી અને તે વસ્તી, જેમાં અમે બરકત આપી રાખી હતી, ખુલ્લા માર્ગમાં કઈ વસ્તીઓ આબાદ કરી હતી અને તેમાં હરવા-ફરવાના માર્ગો નક્કી કરી દીધા હતા કે તેમાં રાત-દિવસ શાંતિપૂર્વક હરો-ફરો.

(19) ૧૯) પરંતુ તે લોકોએ કહ્યું, કે હે અમારા પાલનહાર ! અમારી મુસાફરી દૂર-દૂર કરી દે, તે લોકોએ (આવું કહીને) પોતે જ પોતાના હાથો વડે પોતાનું ખરાબ ઇચ્છયું, એટલા માટે અમે તેમને (પાછલા લોકોની જેમ) વિખેરી નાંખ્યા અને તેમના ટુકડે-ટુકડા કરી નાંખ્યા, નિ:શંક દરેક સબર કરનાર અને આભારી માટે આમાં ખૂબ શિખામણો છે.

(20) ૨૦) અને શેતાને તેમના વિશે પોતાનું અનુમાન સાચું કરી બતાવ્યું, મોમિનો સિવાય સૌ તેનું અનુસરણ કરનારા બની ગયા.

(21) ૨૧) જો કે શેતાનનું તેમની ઉપર કોઇ દબાણ ન હતું, (આ બધું એટલા માટે થયું) કે અમે જાણી લઈએ, કે કોણ આખિરત પર ઈમાન ધરાવે છે, કોણ શંકામાં પડેલા છે અને તમારો પાલનહાર દરેક વસ્તુની દેખરેખ રાખી રહ્યો છે.

(22) ૨૨) (હે નબી! ) કહી દો કે જે લોકોને અલ્લાહ સિવાય તમે ઇલાહ સમજી રહ્યા છો, તેમને પોકારી જોઈ લો, તેમના માંથી કોઇ આકાશો અને ધરતી માંથી એક કણ બરાબર પણ અધિકાર નથી ધરાવતા , ન તો તેમાં તે લોકોનો કોઇ ભાગ છે, ન તો તેમના માંથી કોઇ અલ્લાહની મદદ કરે છે.

(23) ૨૩) તેની પાસે ફક્ત તેમની જ ભલામણો ફાયદો પહોચાડી શકે છે, જેને તે પોતે પરવાનગી આપે, અને જ્યારે લોકોના દિલો માંથી ભય દૂર થશે તો પૂછે છે કે તમારા પાલનહારે શું કહ્યું ? તેઓ જવાબ આપે છે કે સાચું કહ્યું અને તે ઉચ્ચ અને ઘણો જ મોટો છે.

(24) ૨૪) તમે તેમને પૂછો ! કે તમને આકાશો અને ધરતીમાં રોજી કોણ આપે છે ? (પોતે) જવાબ આપો કે “અલ્લાહ તઆલા (જ રોજી આપે છે). (સાંભળો) ! અમારા માંથી અને તમારા માંથી એક જૂથ જ હિદાયત પર અથવા ખુલ્લી ગુમરાહીમાં પડ્યો છે.

(25) ૨૫) તમે તેમને કહી દો ! કે અમે કરેલ અપરાધ વિશે તમારા માંથી કોઇને સવાલ કરવામાં નહીં આવે અને ન તો જે કઈ તમે કરી રહ્યા છો અમને તેના વિશે પૂછતાછ કરવામાં આવશે.

(26) ૨૬) તેમને જણાવી દો કે આપણા સૌને આપણો પાલનહાર ભેગા કરી, પછી આપણી વચ્ચે સાચો નિર્ણય કરી દેશે, તે જ નિર્ણય કરનાર અને હિકમતવાળો છે.

(27) ૨૭) તમે તેમને કહી દો કે મને પણ તે લોકો બતાવો, જેમને તમે અલ્લાહના ભાગીદાર ઠેરવી તેમનો સાથ આપી રહ્યા છો, એ લોકો ક્યારેય નહીં બતાવી શકે, અલ્લાહ જ દરેક પ્રભુત્વ ધરાવે છે અને તે જ હિકમતવાળો છે.

(28) ૨૮) અમે તમને દરેક લોકો માટે ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા, પરંતુ વધારે પડતા લોકો જાણતા નથી.

(29) ૨૯) અને આ લોકો સવાલ કરે છે કે જો તમે સાચા છો તો તમારું વચન (કયામત) ક્યારે સાચું થશે?

(30) ૩૦) જવાબ આપી દો કે તમારા માટે વચનનો સમય નક્કી છે, જેનાથી એક ક્ષણ ન તો પાછળ હઠી શકશો અને ન તો આગળ વધી શકશો.

(31) ૩૧) અને કાફિર ખે છે કે અમે આ કુરઆન પર ક્યારેય ઈમાન નહી લાવીએ અને ન તો આ પહેલાની કિતાબો પર, કદાચ કે તમે તે જાલિમ લોકોને તે સમયે જોતા, જ્યારે તેઓ પોતાના પાલનહાર સામે ઊભા રહી, એકબીજા પર આરોપ મૂકતા હશે, અશક્ત લોકો મોટા લોકોને કહેશે, જો તમે ન હોત તો અમે મોમિન હોત.

(32) ૩૨) આ મોટા લોકો નબળા લોકોને જવાબ આપશે કે જ્યારે તમારી પાસે હિદાયત આવી ગઈ હતી તો શું અમે તમને રોક્યા હતા? પરંતુ તમે પોતે જ અપરાધી હતા.

(33) ૩૩) (તેના જવાબમાં) અશક્ત લોકો તે ઘમંડી લોકોને કહેશે કે (ના-ના વાત એવી નથી) પરંતુ રાત-દિવસની યુક્તિઓ હતી, જ્યારે તમે આદેશ આપતા કે અલ્લાહનો ઇન્કાર કરો, અને તેની સાથી ભાગીદાર ન ઠહેરવશો, અઝાબને જોઇ સૌ અંદર જ અંદર અફસોસ કરી રહ્યા હશે અને ઇન્કાર કરનારાઓના ગળામાં અમે પટ્ટો નાંખી દઇશું, તેઓને ફક્ત તેમણે કરેલ કાર્યોનું વળતર આપવામાં આવશે.

(34) ૩૪) અને અમે તો જે શહેરમાં કોઈ રસૂલ મોકલ્યા, ત્યાંના સુખી લોકોએ એવું જ કહ્યું કે જે આદેશ તમે લઇ આવ્યા છપ અમે તેનો ઇન્કાર કરીએ છીએ.

(35) ૩૫) અને એવું પણ કહ્યું કે અમારી પાસે ખૂબ ધન અને સંતાન છે, અમને કોઈ અઝાબ આપવામાં નહિ આવે.

(36) ૩૬) તમે તેમને કહી દો કે મારો પાલનહાર જેના માટે ઇચ્છે તેની પુષ્કળ રોજી આપે છે અને જેના માટે ઇચ્છે તેની રોજી તંગ પણ કરી દે છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.

(37) ૩૭) અને તમારું ધન તથા સંતાન બન્ને એવી વસ્તુ નથી, જેના કારણે તમે અમારી નિકટતા પ્રાપ્ત કરી શકો, હાં, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા (તેઓ નિકટતા પ્રાપ્ત કરી શકે છે) આ જ તે લોકો છે, જેમને તેમના કાર્યોનું બમણું વળતર આપવામાં આવશે અને તેઓ નીડર અને ડર્યા વગર ઉચ્ચ સ્થાનો પર રહેશે.

(38) ૩૮) અને જે લોકો અમારી આયતોના વિરોધમાં લાગેલા રહે છે, આવા જ લોકોને અઝાબ માટે હાજર કરવામાં આવશે.

(39) ૩૯) તમે તેમને કહી દો ! કે મારો પાલનહાર પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે, તેના પુષ્કળ રોજી આપે છે અને જેના માટે ઇચ્છે તેની રોજી તંગ કરી દે છે અને જે કંઈ તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો તો તેની જગ્યાએ તે તમને વધુ આપે છે, અને તે સૌથી શ્રેષ્ઠ રોજી આપનાર છે.

(40) ૪૦) અને જે દિવસે અલ્લાહ દરેકને ભેગા કરશે, ફરિશ્તાઓને પૂછશે કે શું આ લોકો તમારી બંદગી કરતા હતા ?

(41) ૪૧) તેઓ કહેશે કે તું પવિત્ર છે અને અમારો દોસ્ત તું જ છે, આ લોકો નહીં, પરંતુ આ લોકો જિન્નોની બંદગી કરતા હતા, તેમના માંથી વધારે પડતા લોકો તેમના પર જ ઈમાન ધરાવતા હતા.

(42) ૪૨) (તે સમયે અમે કહીશું કે) આજે તમારા માંથી કોઇ કોઇના માટે ફાયદા અને નુકસાનનો અધિકાર નહીં ધરાવે અને અમે જાલિમલોકોને કહી દઇશું કે તે આગનો સ્વાદ ચાખો, જેને તમે જુઠલાવતા રહ્યા.

(43) ૪૩) અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે, તો કહે છે કે આ એવો વ્યક્તિ છે, જે તમને તમારા પૂર્વજોના પૂજ્યોથી રોકવા ઇચ્છે છે. અને કહે છે કે આ કુરઆનતો ઘડી કાઢેલું જુઠ છે અને તે કાફિરો પાસે જ્યારે સત્ય આવી ગયું તો કહેવા લાગ્યા કે આ તો ખુલ્લું જાદુ છે.

(44) ૪૪) જો કે અમે તેમને (મક્કાવાળાઓ) ન તો કોઈ કિતાબ આપી હતી, જેનું આ લોકો વાંચન કરતા હોય, ન તેમની પાસે તમારા પહેલા કોઇ સચેત કરનાર આવ્યો.

(45) ૪૫) જે લોકો પહેલા પસાર થઇ ગયા છે તે લોકોએ (પણ સત્ય વાત જુઠલાવી હતી) અને જ કઈ અમે તેમને આપી રાખ્યું હતું, આ લોકો તો તેમના દસમાં ભાગ સુધી પણ પહોંચ્યા નથી, બસ ! તે લોકોએ મારા પયગંબરોને જુઠલાવ્યા, (પછી જુઓ) મારો (સખત) અઝાબ કેવો હતો?

(46) ૪૬) તમે તેમને કહી દો ! કે હું તમને ફક્ત એક વાતની શિખામણ આપું છું કે તમે અલ્લાહ માટે (હઠ છોડી) બે-બે મળી અથવા એકલા-એકલા વિચારો તો ખરાં, તમારા તે દોસ્તને કોઇ પાગલપણું છે? તે તો તમને એક મોટો અઝાબ આવતા પહેલા સચેત કરે છે.

(47) ૪૭) તમે તેમને કહી દો ! કે જે વળતર હું તમારી પાસે માંગુ તે તમારા ફાયદા માટે છે,(તે તમે જ રાખી લો) મારો બદલો તો અલ્લાહ પાસે જ છે, તે દરેક વસ્તુને જાણે છે.

(48) ૪૮) તમે તેમને કહી દો કે મારો પાલનહાર સત્ય વાત દ્વારા (બાતીલને) નષ્ટ કરે છે, તે દરેક અદૃશ્યની (વાતોને) જાણે છે.

(49) ૪૯) તમે તેમને કહી દો ! કે સત્ય આવી પહોંચ્યું, અસત્ય ન તો પહેલા કંઈ કરી શક્યો છે ન પછી કરશે.

(50) ૫૦) તમે તેમને કહી દો ! કે જો હું પથભ્રષ્ટ થઇ જઉં, તો મારા પથભ્રષ્ટ (થવાની મુસીબત) મારા પર જ છે અને જો હું સત્ય માર્ગ પર છું તો તે એટલા માટે કે અલ્લાહ તઆલા મારા તરફ વહી કરી રહ્યો છે, તે ખૂબ જ સાંભળવાવાળો અને તે ખૂબ જ નજીક છે.

(51) ૫૧) કાશ! તમે જોતા, જ્યારે તેઓ ભયભીત હશે, પછી બચવાની કોઇ જગ્યા નહીં પામે અને નજીકની જગ્યાએથી પકડી લેવામાં આવશે.

(52) ૫૨) તે સમયે કહેશે કે હવે અમે આ કુરઆન પર ઈમાન લાવ્યા, પરંતુ હવે દૂર થઇ ગયેલી વસ્તુ કઇ રીતે હાથ આવી શકે છે.

(53) ૫૩) આ પહેલા તો તે લોકોએ દુનિયામાં આનો ઇન્કાર કરી ચુક્યા હતા અને જોયા વગર જ (અંધારામાં) દૂર ફેંકતા રહ્યા.

(54) ૫૪) તે સમયે તેમની અને તેમની મનેચ્છાઓ વચ્ચે પરદો નાંખી દેવામાં આવ્યો છે, જેવું કે આ પહેલા પણ તેમના જેવા લોકો સાથે આ પ્રમાણે જ કરવામાં આવ્યું, તેઓ એવા શંકામાં પડેલા હતા, જે તેમને બેચેન કરી રહ્યું હતું.