44 - Ad-Dukhaan ()

|

(1) ૧) હા-મીમ્

(2) ૨) તે કિતાબની કસમ ! જે સત્યને સ્પષ્ટ કરે છે.

(3) ૩) નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં ઉતારી છે, નિ:શંક અમે સચેત કરનારા છે.

(4) ૪) તે જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે.

(5) ૫) ખરેખર અમે જ પયગંબર બનાવી મોકલીએ છીએ,

(6) ૬) અને આ તમારા પાલનહારની કૃપાથી હતું, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે.

(7) ૭) જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય.

(8) ૮) તેના સિવાય કોઇ ઇલાહનથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.

(9) ૯) પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરી રહ્યા છે.

(10) ૧૦) તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે.

(11) ૧૧) જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત અઝાબ હશે.

(12) ૧૨) (તે સમયે લોકો) કહેશે કે હે અમારા પાલનહાર ! આ અઝાબ અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ.

(13) ૧૩) તે સમયે તેમને નસીહત ફાયદો નહિ પહોચાડે, જો કે સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા,.

(14) ૧૪) તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે.

(15) ૧૫) અમે અઝાબને સહેજ દૂર કરી દઇશું તો તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો.

(16) ૧૬) જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે.

(17) ૧૭) નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા.

(18) ૧૮) (જેણે કહ્યું) કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.

(19) ૧૯) અને એ કે તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ.

(20) ૨૦) અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો.

(21) ૨૧) અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો.

(22) ૨૨) પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે.

(23) ૨૩) (અલ્લાહએ આદેશ આપ્યો) કે તમે રાતના સમયે મારા બંદાઓને લઇને નીકળી જાવ, ખરેખર (આ લોકો) તમારી પાછળ આવશે.

(24) ૨૪) તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર તેમના લશ્કરને ડુબાડી દેવામાં આવશે.

(25) ૨૫) તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા.

(26) ૨૬) તથા ખેતરો અને શાંતિવાળા ઘર.

(27) ૨૭) અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી.

(28) ૨૮) આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા.

(29) ૨૯) ન તો તેમના માટે આકાશ રડ્યું અને ન તો ઝમીન અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી.

(30) ૩૦) અને નિ:શંક અમે (જ) બની ઇસ્રાઇલને અપમાનિત કરી દેનારા અઝાબથી છુટકારો આપ્યો.

(31) ૩૧) (અર્થાત) ફિરઔનથી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો.

(32) ૩૨) અને અમે બની ઇસ્રાઇલને પોતાના ઇલ્મના કારણે સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી.

(33) ૩૩) અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી, જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી.

(34) ૩૪) આ લોકો તો આવું જ કહે છે,

(35) ૩૫) કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે.

(36) ૩૬) જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો.

(37) ૩૭) શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા.

(38) ૩૮) અમે આકાશો અને ધરતી તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું.

(39) ૩૯) પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી.

(40) ૪૦) નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે.

(41) ૪૧) તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે.

(42) ૪૨) સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે.

(43) ૪૩) નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ,

(44) ૪૪) અપરાધીનો ખોરાક છે.

(45) ૪૫) જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે.

(46) ૪૬) સખત ગરમ પાણી જેવું,

(47) ૪૭) (પછી આદેશ આપવામાં આવશે) કે તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો.

(48) ૪૮) પછી તેના માથા પર સખત ગરમ પાણીનો અઝાબ વહાવો.

(49) ૪૯) (તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો,

(50) ૫૦) આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા.

(51) ૫૧) નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે.

(52) ૫૨) બગીચા અને ઝરણાઓમાં.

(53) ૫૩) પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે.

(54) ૫૪) આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું.

(55) ૫૫) શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે.

(56) ૫૬) ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, જે દુનિયામાં આવી ગયું, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમના અઝાબથી બચાવી લેશે.

(57) ૫૭) આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે.

(58) ૫૮) અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.

(59) ૫૯) હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે.