22 - Al-Hajj ()

|

(1) ૧) હે લોકો ! પોતાના પાલનહારથી ડરો, નિ:શંક કયામતનો ધરતીકંપ ખૂબ જ મોટી (ભયાનક) વસ્તુ છે.

(2) ૨) તે દિવસે તમે જોઇ લેશો કે દરેક દૂધ પીવડાવનારી પોતાના દૂધ પીતા બાળકને ભૂલી જશે અને દરેક ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ પડી જશે અને તમે લોકોને નશામાં જોશો જો કે ખરેખર તેઓ નશામાં નહીં હોય, પરંતુ અલ્લાહનો અઝાબ ઘણો જ સખત હશે.

(3) ૩) કેટલાક લોકો અલ્લાહ વિશે જ્ઞાન વગર વાતો ઘડે છે અને દરેક વિદ્રોહી શેતાનોનું અનુસરણ કરવા લાગે છે.

(4) ૪) આવા લોકો માટે (અલ્લાહનો ફેંસલો) લખી દેવામાં આવ્યો છે કે જે કોઈ પણ શેતાનની સાથે મિત્રતા કરશે, તે તેને ગુમરાહ કરી દેશે અને તેને જહન્નમના અઝાબ તરફ લઇ જશે.

(5) ૫) હે લોકો ! જો તમને તમારા મૃત્યુ પછી ફરી જીવિત થવામાં કોઈ શંકા હોય તો (તમને જાણ હોવી જોઈએ કે) અમે તમને માટી વડે પેદા કર્યા, પછી વીર્યના ટીપા વડે, પછી લોહીથી, પછી માંસ વડે, જેને ક્યારેક ઘાટ આપવામાં આવે છે અને ક્યારેક આપવામાં નથી આવતો, જેથી અમે તમારા પર (પોતાની કુદરતને) જાહેર કરી દઈએ, અને અમે જે વીર્યના ટીપાને ઇચ્છીએ તેને એક નક્કી કરેલ સમય સુધી માતાના ગર્ભમાં રાખીએ છીએ, પછી તમને બાળક બનાવી દુનિયામાં લાવીએ છીએ, પછી (તમારો ઉછેર કરીએ છીએ) જેથી તમે પોતાની યુવાવસ્થામાં પહોંચી જાવો, પછી તમારા માંથી કેટલાકને મૃત્યુ આપી દેવામાં આવે છે અને કેટલાકને વૃદ્વાવસ્થા સુધી જીવિત રાખવામાં આવે છે, જેથી તે એક વસ્તુને જાણવા છતાં અજાણ બની જાય, તમે જોશો કે ધરતી સૂકી છે, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે ઊપજે છે અને ફૂલે છે અને દરેક પ્રકારની લોભામણી ઉપજો ઉપજાવે છે.

(6) ૬) આ એટલા માટે (થાય છે) કે અલ્લાહ જ સાચો છે અને તે જ મૃતકોને જીવિત કરે છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

(7) ૭) અને એ કે કયામત ચોક્કસ આવનારી છે, જેના વિશે કોઈ શંકા નથી અને અલ્લાહ તઆલા જરૂર તે લોકોને જીવિત કરી ઉઠાવશે, જેઓ કબરમાં પડી રહ્યા છે.

(8) ૮) કેટલાક લોકો અલ્લાહ વિશે ઝઘડો કરે છે, જ્ઞાન વગર , સત્ય માર્ગદર્શન વગર અને પ્રકાશિત કિતાબ વગર.

(9) ૯) જેઓ પોતાના અહંકારમાં (ગુમરાહી) પર અડગ છે, જેથી તેઓ લોકોને પણ અલ્લાહના માર્ગથી ગુમરાહ કરી દે, આવા લોકો માટે જ દુનિયામાં અપમાન છે અને કયામતના દિવસ અમે તેને ભષ્મ કરી દેનારા અઝાબનો સ્વાદ ચખાડીશું.

(10) ૧૦) (અને અમે કહીશું) આ તારા જ કાર્યોનો બદલો છે, જે તે આગળ મોકલ્યા હતા, અને અલ્લાહ તઆલા ક્યારેય પોતાના બંદાઓ પર ઝુલ્મ નથી કરતો.

(11) ૧૧) કેટલાંક લોકો એવા પણ છે કે એક કિનારા ઉપર ઊભો રહી, અલ્લાહની બંદગી કરે છે જો કોઈ ફાયદો મળી ગયો તો (ઇસ્લામ તરફ) ધ્યાન ધરે છે અને જો તેના પર કોઈ આપત્તિ આવી જાય તો તે જ સમયે મોઢું ફેરવી લે છે, આ લોકો દુનિયા અને આખેરત બન્નેમાં નુકસાન ઉઠાવશે, ખરેખર આ સ્પષ્ટ નુકસાન છે.

(12) ૧૨) તે અલ્લાહ સિવાય એવા લોકોને પોકારે છે, જે ન તો તેને નુકસાન પહોંચાડી શકે છે અને ન તો ફાયદો અઆપી શકે છે, આ જ તો સ્પષ્ટ ગુમરાહી છે.

(13) ૧૩) તેઓ તેમને પોકારે છે, જેનું નુકસાન તેમના ફાયદા કરતા વધારે નજીક છે, અત્યંત ખરાબ છે, તેમની મદદ કરનાર અને તેમનો સાથી.

(14) ૧૪) જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્ય કર્યા તો અલ્લાહ તઆલા તેમને વહેતી નહેરોવાળી જન્નતોમાં પ્રવેશ આપશે, અલ્લાહ જે ઇચ્છે-કરીને જ રહે છે.

(15) ૧૫) જેનો વિચાર એવો હોય કે અલ્લાહ તઆલા પોતાના (પયગંબર)ની દુનિયા અને આખિરતમાં મદદ નહીં કરે, (અને અન્ય તરફ પાછો ફરે) તેણે આકાશ તરફ એક દોરડું બાંધવું જોઈએ, પછી તેને કાપી નાખે અને જુએ કે શું તેની આ યુક્તિ તે વસ્તુને દૂર કરી શકે છે, જે તેને ગુસ્સો અપાવે છે? (તે કેટલીય યુક્તિઓ કેમ ના કરે પરંતુ તકદીરઆ નિર્ણયોને બદલી નથી શકતો.)

(16) ૧૬) અમે આવી જ રીતે કુરઆનને સ્પષ્ટ આયતો સાથે ઉતાર્યું છે, અલ્લાહ જેને ઇચ્છે તેને હિદાયત આપે છે.

(17) ૧૭) નિ:શંક ઈમાનવાળા અને યહૂદી, સાબી, નસ્રાની, મજૂસીઓ અને મુશરિક લોકો, અલ્લાહ તઆલા તે સૌની વચ્ચે કયામતના દિવસે ફેંસલો કરી દેશે. અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર સાક્ષી છે.

(18) ૧૮) શું તમે જોતા નથી જે કઇ આકાશોમાં છે અને જે કઈ ધરતીમાં છે અને સૂર્ય, ચંદ્ર, તારાઓ, પર્વતો, વૃક્ષ, ઢોર અને ઘણા મનુષ્ય પણ અલ્લાહ સમક્ષ સિજદો કરી રહી છે, અને ઘણા લોકો એવા પણ છે જેમના માટે અઝાબ નક્કી થઇ ગયો છે, જેને અલ્લાહ અપમાનિત કરી દે તેને કોઈ ઇજજત આપનાર નથી. અલ્લાહ જે ઇચ્છે છે, તે કરે છે.

(19) ૧૯) આ બન્ને જૂથ (મોમિન અને કાફિર) જેઓ પોતાના પાલનહાર વિશે વિવાદ કર્યો, તેમના માંથી જે લોકોએ કુફર કર્યો તેમના માટે આગના પોશાક કાપવામાં આવશે અને તેમના માથા પર સખત ઉકાળેલું પાણી રેડવામાં આવશે.

(20) ૨૦) જેના કારણે તેમના પેટની દરેક વસ્તુ અને ચામડી ઓગળી જશે.

(21) ૨૧) અને તેમની સજા માટે લોખંડના હથોડા હશે.

(22) ૨૨) આ લોકો જ્યારે પણ જહન્નમના દુ:ખથી ભાગી જવાની ઇચ્છા કરશે, તો ત્યાં જ પાછા ધકેલી દેવામાં આવશે અને (કહેવામાં આવશે કે) ભષ્મ કરી દેનારો અઝાબ ચાખો.

(23) ૨૩) (બીજી તરફ) જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલો કર્યા તેમને અલ્લાહ તઆલા એવા બગીચાઓમાં પ્રવેશ આપશે, જેમાં નહેરો વહી રહી છે, જ્યાં તેમને સોના અને મોતીઓની બંગડીઓ પહેરાવવામાં આવશે, ત્યાં તેમનો પોશાક શુદ્ધ રેશમ હશે.

(24) ૨૪) (આ તે લોકો હશે) જેમને ઉત્તમ વાત (તૌહિદ) તરફ માર્ગદર્શન આપી દેવામાં આવ્યું અને તેઓ તે અલ્લાહનાં માર્ગ સુધી પહોચી ગયા, જે દરેક પ્રકારનાં વખાણને લાયક છે.

(25) ૨૫) જે લોકો કાફિર છે અને અલ્લાહના માર્ગ અને મસ્જિદે હરામથી રોકે છે, તે મસ્જિદે હરામ, જેમાં અમે ત્યાના રહેવાસીઓ તેમજ બહારથી આવનાર લોકોના અધિકાર સરખા રાખ્યા છે અને જે કોઈ ઝુલ્મ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું.

(26) ૨૬) અને (તે સમય પણ યાદ કરો) જ્યારે અમે ઇબ્રાહીમ માટે કાબાની જગ્યા નક્કી કરી આપી, (અને તેમને કહ્યું હતું) કે મારી સાથે કોઈને ભાગીદાર ન ઠેરવશો અને મારા ઘરને તવાફ, કિયામ, રૂકુઅ અને સિજદા કરવાવાળાઓ માટે સ્વચ્છ રાખશો.

(27) ૨૭) અને લોકોને હજ્જનો આદેશ આપી દો કે તેઓ તમારી પાસે દૂર દૂરથી ચાલીને અને પાતળા ઊંટો પર પણ સવાર થઇ આવે.

(28) ૨૮) જેથી લોકોને તે ફાયદા મળે, જે અહીંયા તેમના માટે નક્કી કરેલા છે અને જે જાનવર અમે તેમને આપ્યા છે, તેમના પર નક્કી કરેલ સમયમાં અલ્લાહનું નામ લે, (ઝબહ કરે) બસ ! તમે પોતે પણ ખાઓ અને ભુખ્યા ફકીરોને પણ ખવડાવો.

(29) ૨૯) પછી (હજ કરવાવાળા) લોકોએ પોતાની ગંદકી દૂર કરવી જોઈએ અને પોતાની નજરોને પૂરી કરે અને અલ્લાહના જૂના ઘરનો તવાફ કરે.

(30) ૩૦) આ દરેક વાતો યાદ રાખો છે અને જે વ્યક્તિ અલ્લાહની પવિત્ર વસ્તુઓની ઇજજત કરશે, તેના માટે આ વાત અલ્લાહ પાસે શ્રેષ્ઠ છે. અને તમારા માટે ઢોર હલાલ કરી દેવામાં આવ્યા છે, તે ઢોર સિવાય, જેનું વર્ણન કરી દેવામાં આવ્યું છે. બસ ! તમારે મુર્તિઓની ગંદકીથી બચીને રહેવું જોઇએ અને જુઠ્ઠી વાતથી પણ બચવું જોઇએ.

(31) ૩૧) અલ્લાહને જ ઇલાહ માનતા તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠેરવો, સાંભળો ! જે કોઈ અલ્લાહની સાથે ભાગીદાર ઠેરવશે તો તે એવો છે, જેવો કે આકાશ માંથી પડી જાય અને તેને પક્ષીઓ ઉચકીને લઇ જાય અથવા હવા કોઈ દૂર જગ્યાએ ફેંકી દે.

(32) ૩૨) આ પ્રમાણેના (દરેક કાર્યો)થી બચવું જોઈએ, અને જે વ્યક્તિ અલ્લાહની નિશાનીઓની ઇજજત કરે, આવું તેના દિલમાં અલ્લાહના ડરના કારણે છે.

(33) ૩૩) તમને (આ કુરબાનીના જાનવરોથી) એક નક્કી કરેલ સમય સુધી ફાયદો ઉઠાવી શકો છો, પછી તેમના (ઝબહ કરવાની જગ્યા) તે જ જુના ઘર (બૈતુલ્લાહ) પાસે છે.

(34) ૩૪) અમે દરેક કોમ માટે કુરબાનીની રીત નક્કી કરી દીધી છે, જેથી તે ઢોરો પર અલ્લાહનું નામ લે, જે અલ્લાહએ તેમને આપી રાખ્યા છે. સમજી લોકે તમારા સૌનો ઇલાહ ફક્ત એક જ છે, એટલા માટે તમે તેના આજ્ઞાકારી બની જાઓ અને (હે પયગંબર !) તમે અલ્લાહ સમક્ષ આજીજી કરવાવાળાઓને ખુશખબર આપી દો.

(35) ૩૫) અને આ લોકો છે, જ્યારે તેમની સામે અલ્લાહનું વર્ણન કરવામાં આવે તો તેમના દિલ ધ્રુજી ઉઠે છે અને તેમને જે કઈ તકલીફ પહોંચે છે, તેના પર સબર કરે છે, નમાઝ કાયમ કરે છે અને જે કંઇ પણ અમે તેમને આપી રાખ્યું છે, તેઓ તેમાંથી ખર્ચ કરતા રહે છે.

(36) ૩૬) કુરબાની માટેના ઊંટ, અલ્લાહએ તમારા માટે તેને નિશાની બનાવી છે, તેમાં તમારા માટે ફાયદો છે, બસ ! (ઝબહ કરતી વખતે) તેમને ઊભા રાખી તેમના પર અલ્લાહનું નામ લો, પછી જ્યારે તે ધરતી પર પડી જાય, તો તેને પોતે પણ ખાવ અને ન માંગનારા અને માંગનારા બન્નેને પણ ખવડાવો, આવી જ રીતે અમે ઢોરોને તમારા વશમાં કરી દીધા છે, જેથી તમે આભાર વ્યકત કરો.

(37) ૩૭) અલ્લાહ તઆલાની પાસે કુરબાનીનું માંસ નથી પહોંચતું, ન તેમનું લોહી, પરંતુ તેની પાસે તો તમારો તકવો પહોંચે છે, આવી જ રીતે અલ્લાહ તઆલાએ તે ઢોરોને તમારા વશમાં કરી દીધા છે. જેથી અલ્લાહએ તમને જે માર્ગદર્શન આપ્યો છે, (તેનો આભાર માનતા) તેની પ્રશંસાનું વર્ણન કરો અને (હે નબી !) સદાચારી લોકોને ખુશખબર આપી દો.

(38) ૩૮) સાંભળો ! જે લોકો ઈમાન લાવ્યા છે, અલ્લાહ તઆલા (દુશ્મનોથી) તેમનો બચાવ કરે છે, અલ્લાહ તઆલા કોઈ દગાખોર, કૃતઘ્નીને પસંદ નથી કરતો.

(39) ૩૯) જે (કાફિરો મુસલમાનો સાથે) યુદ્વ કરી રહ્યા છે, તેમને (મુસલમાનોને) પણ યુદ્વની પરવાનગી આપવામાં આવે છે, કારણકે તે પીડિત છે, નિ:શંક તેમની મદદ કરવા માટે અલ્લાહ કુદરત ધરાવે છે.

(40) ૪૦) આ તે લોકો છે, જેમને ખોટી રીતે પોતાના ઘરો માંથી કાઢવામાં આવ્યા, ફક્ત તેમની આ વાત પર કે અમારો પાલનહાર અલ્લાહ જ છે, જો અલ્લાહ તઆલા લોકોને અંદરોઅંદર એકબીજા દ્વારા ન હટાવતો તો ધાર્મિક સ્થળ અને ચર્ચ તેમજ બંદગી કરવાની જગ્યાઓ અને તે મસ્જિદો પણ નષ્ટ કરી દેવામાં આવતી, જ્યાં અલ્લાહ તઆલાનું નામ વધારે લેવાય છે, અલ્લાહ એવા લોકોની જરૂર મદદ કરે છે, જે તેના (દીનની) મદદ કરે છે નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવર, ઝબરદસ્ત છે.

(41) ૪૧) (અલ્લાહના દીનની મદદ કરનાર) તે લોકો છે કે જો અમે ધરતી પર તેમને (સરદાર બનાવી દઇએ તો), આ લોકો પાબંદી સાથે નમાઝ પઢશે અને ઝકાત પણ આપશે અને સારા કાર્યોનો આદેશ આપશે અને ખરાબ કાર્યોથી રોકશે, દરેક કાર્યોનું પરિણામ અલ્લાહની પાસે જ છે.

(42) ૪૨) (હે પયગંબર ! ) જો આ લોકો તમને જુઠલાવે, (તો કોઈ આશ્વર્યની વાત નથી). આ પહેલા નૂહની કોમ અને આદ તેમજ ષમૂદની કોમો પણ પોતાના પયગંબરોને જુઠલાવી ચુકી છે.

(43) ૪૩) અને એવી જ રીતે ઇબ્રાહીમની કોમ અને લૂતની કોમ પણ (જુઠલાવી ચુકી છે.)

(44) ૪૪) અને મદયનવાળાઓ પણ જુઠલાવ્યા હતા, મૂસાને પણ જુઠલાવવામાં આવ્યા હતાં, બસ ! મેં કાફિરોને આવી રીતે જ મહેતલ આપી, પછી તેમની પકડ કરી, તો જુઓ! મારી સજા કેવી રહી ?

(45) ૪૫) ઘણી જ વસ્તીઓ છે, જેમને અમે નષ્ટ કરી દીધી, એટલા માટે કે તે અત્યાચારી હતાં, બસ ! તેમાંથી (કેટલીક વસ્તીઓની) છતો ઊંધી પડી છે અને ઘણા આબાદ કુવાં બેકાર પડયા છે અને ઘણા પાકા અને ઊંચા મહેલો વેરાન છે.

(46) ૪૬) શું તે લોકો ધરતી પર હર્યા-ફર્યા નથી ? જેથી તેમના દિલ એવા બની જતા, જે કઇક સમજતા અને વિચારતા અને કાન એવા બની જતા, જેનાથી તેઓ કઇક સાભળતા, સત્યતા એ છે કે આંખો જ આંધળી નથી હોતી, પરંતુ તે દિલ આંધળા થઇ જાય છે જે તેમના હૃદયોમાં છે.

(47) ૪૭) આ લોકો અઝાબ માટે ઉતાવળ કરી રહ્યા છે, જો કે અલ્લાહ ક્યારેય પોતાનું વચન નહીં ટાળે, હાં ! તમારા પાલનહાર પાસે એક દિવસ તમારી ગણતરી પ્રમાણે એક હજાર વર્ષનો છે.

(48) ૪૮) ઘણી અત્યાચાર કરનારી વસ્તીઓને મેં મહેતલ આપી, છેવટે તેમને પકડી લીધા અને તેઓને મારી તરફ જ પાછા ફરવાનું છે.

(49) ૪૯) (હે પયગંબર !) તમે તેમને જણાવી દો હે લોકો ! હું તમને (ખરાબ પરિણામથી) સ્પષ્ટ સચેત કરનારો છું.

(50) ૫૦) બસ ! જે લોકો ઈમાન લાવ્યા છે અને જે લોકોએ સત્કાર્ય કર્યા છે, તેમના માટે જ માફી છે અને ઇજજતવાળી રોજી.

(51) ૫૧) અને જે લોકો અમારી નિશાનીઓને નીચી બતાવવાનો પ્રયાસ કરે છે, તે લોકો જ જહન્નમી છે.

(52) ૫૨) (હે પયગંબર ! )અમે તમારા કરતા પહેલા જે પયગંબરને મોકલ્યા, તેમની સાથે એવું બન્યું કે જ્યારે તેઓ પોતાના હૃદયમાં કોઈ ઇચ્છા કરવા લાગ્યા, તો શેતાને તેમની ઇચ્છામાં કંઇક વધારો કરી દીધો, બસ ! શેતાનના વધારાને અલ્લાહ તઆલા દૂર કરી દે છે, પછી પોતાની વાત નિશ્વિત કરી દે છે, અલ્લાહ તઆલા ખૂબ જ જાણવાવાળો, હિકમતવાળો છે.

(53) ૫૩) આ એટલા માટે કે શેતાનના વધારાને અલ્લાહ તઆલા તે લોકોની કસોટીનું કારણ બનાવી દે, જેમના હૃદયોમાં નિફાકનો રોગ છે અથવા જેમના દિલ (ઈમાન લાવવા બાબતે) સખત છે. ખરેખર આવા જાલિમ (સત્ય વાતના) વિવાદમાં દૂર સુધી જતા રહ્યા છે.

(54) ૫૪) અને એટલા માટે પણ કે જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, તેઓ માની લે કે આ તમારા પાલનહાર તરફથી જ ખરેખર સત્ય છે, પછી તેઓ તેના પર ઈમાન લાવે અને તેમના દિલ તેની તરફ ઝૂકી જાય, નિ:શંક અલ્લાહ તઆલા ઈમાનવાળાઓને સત્ય માર્ગદર્શન આપવાવાળો છે.

(55) ૫૫) કાફિર અલ્લાહની આ વહીમાં હંમેશા શંકા જ કરતા રહેશે, ત્યાં સુધી કે અચાનક તેમના માથા પર કયામત આવી જાય, અથવા તેમની પાસે તે દિવસનો અઝાબ આવી જાય, જે અશુભ છે.

(56) ૫૬) તે દિવસે ફક્ત અલ્લાહની જ બાદશાહત હશે, તે જ તમારી વચ્ચે ફેંસલો કરશે, જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તે લોકો નેઅમતોથી ભરપૂર જન્નતોમાં હશે.

(57) ૫૭) અને જે લોકોએ કુફર કર્યો અને અમારી આયતોને જુઠલાવી તેમના માટે અપમાનિત કરી દેનારો અઝાબ છે.

(58) ૫૮) અને જે લોકોએ અલ્લાહના માર્ગમાં વતન છોડ્યું, પછી તેઓને શહીદ કરી દેવામાં આવ્યા, અથવા મૃત્યુ પામ્યા, અલ્લાહ તઆલા તેમને ઉત્તમ રોજી આપશે અને નિ:શંક અલ્લાહ તઆલા સૌથી શ્રેષ્ઠ રોજી આપનાર છે.

(59) ૫૯) તેઓને અલ્લાહ તઆલા એવી જગ્યાએ પહોંચાડશે કે તે તેનાથી ખુશ થઇ જશે, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને ધૈર્યવાન છે.

(60) ૬૦)વાત આ પ્રમાણે જ છે. અને જે વ્યક્તિએ બદલો લેવામાં એટલી જ તકલીફ પહોચાડે, જેટલી તેને પહોચી હતી, પછી જો તેની સાથે અતિરેક કરવામાં આવે તો નિ:શંક અલ્લાહ તઆલા તેની જરૂર મદદ કરશે, નિ:શંક અલ્લાહ દરગુજર કરનાર, માફ કરનાર છે.

(61) ૬૧) આ એટલા માટે કે અલ્લાહ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં દાખલ કરે છે અને નિ:શંક અલ્લાહ બધું જ સાંભળવાવાળો અને જોવાવાળો છે.

(62) ૬૨) આ બધું એટલા માટે કે અલ્લાહ જ સાચો છે અને તેના સિવાય જેમને પણ આ લોકો પોકારે છે તે ખોટા છે. અને નિ:શંક અલ્લાહ જ પ્રતિષ્ઠિત અને ખૂબ જ મોટો છે.

(63) ૬૩) શું તમે જોયું નથી કે અલ્લાહ તઆલા જ આકાશ માંથી પાણી વરસાવે છે, બસ ! ધરતી હરિયાળી થઇ જાય છે, નિ:શંક અલ્લાહ તઆલા બધું જ જાણવાવાળો અને ખબર રાખવાવાળો છે.

(64) ૬૪) આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે તે બધું જ તેનું છે અને ખરેખર અલ્લાહ દરેક વસ્તુથી બે નિયાઝ ખૂબ જ પ્રશંસાવાળો છે.

(65) ૬૫) શું તમે જોતા નથી કે અલ્લાહએ જ ધરતીની દરેક વસ્તુને તમારા માટે કામે લગાડેલ છે અને તેના આદેશથી પાણીમાં ચાલતી હોડીઓ પણ, તેણે જ આકાશને એવી રીતે રોકી રાખ્યું છે કે તેની પરવાનગી વગર ધરતી પર પડી નથી શકતું, નિ:શંક અલ્લાહ તઆલા લોકો માટે ખૂબ જ માયાળુ, દયાળુ છે.

(66) ૬૬) તેણે જ તમને જીવન પ્રદાન કર્યું, પછી તે જ તમને મૃત્યુ આપશે, પછી તે જ તમને (ફરીવાર) જીવિત કરશે, નિ:શંક માનવી ઘણો જ કૃતઘ્ની છે.

(67) ૬૭) અમે દરેક કોમ માટે બંદગી કરવાની એક રીત નક્કી કરી દીધી છે, જેને તેઓ કરી રહ્યા છે, બસ ! તેમણે તે આદેશમાં તમારી સાથે ઝઘડો ન કરવો જોઇએ. તમે પોતાના પાલનહાર તરફ લોકોને બોલાવો, ખરેખર તમે જ સત્ય માર્ગ પર છો.

(68) ૬૮) અને જો તો પણ આ લોકો તમારી સાથે તકરાર કરવા લાગે, તો તમે તેમને કહી દો કે તમારા કાર્યોને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે.

(69) ૬૯) અલ્લાહ જ તમારા સૌના તે વિવાદનો ફેંસલો કયામતના દિવસે કરશે, જે બાબતે તમે વિવાદ કરી રહ્યા છો.

(70) ૭૦) શું તમે જાણતા નથી કે આકાશો અને ધરતીની દરેક વસ્તુને અલ્લાહ જાણેછે, આ બધું જ લખેલી કિતાબમાં સુરક્ષિત છે, અલ્લાહ તઆલા માટે તો આ કામ ઘણું જ સરળ છે.

(71) ૭૧) અને આ લોકો અલ્લાહને છોડીને તે લોકોની બંદગી કરી રહ્યા છે, જેમના માટે અલ્લાહએ ન તો કોઈ દલીલ ઉતારી છે અને ન તેઓ પોતે તે વિશે જાણે છે, આ જાલિમ લોકોની મદદ કરનાર કોઈ નહિ હોય.

(72) ૭૨) જ્યારે તેમની સમક્ષ અમારી કિતાબની સ્પષ્ટ આયતોનું વર્ણન કરવામાં આવે છે તો, તમે કાફિરોના મોઢા પર નારાજગીના અંશ જોઇ લો છો, (એવું લાગે છે) તે લોકો અમારી આયતો સંભળાવનારા પર હુમલો કરવા માટે તૈયાર જ બેઠા હોય છે, તમે તેમને કહી દો કે હું તમને જણાવું કે આના કરતા વધારે ખરાબ વસ્તુ શું છે? આગ, જેનું વચન અલ્લાહએ કાફિરોને આપી રાખ્યું છે. અને તે ખૂબ જ ખરાબ ઠેકાણું છે.

(73) ૭૩) હે લોકો ! તમારી સમક્ષ એક ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે, કાન લગાવી સાંભળો ! અલ્લાહ સિવાય જેને પણ તમે પોકારો છો, જો તે બધા જ એકઠા થઇ જાય તો પણ એક માખીનું પણ સર્જન નથી કરી શકતા,પરંતુ જો માખી તેમની પાસેથી કોઈ વસ્તુ લઇ લે તો આ લોકો તો તેને પણ તેની પાસેથી છીનવી નથી શકતા, ખૂબ જ નબળો છે, જે માંગી રહ્યો છે અને ખૂબજ નબળો છે તે, જેની પાસે માંગવામાં આવી રહ્યું છે.

(74) ૭૪) તે લોકોએ અલ્લાહની પ્રતિષ્ઠા પ્રમાણે અલ્લાહની કદર ન કરી, અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવર, ઝબરદસ્ત છે.

(75) ૭૫) અલ્લાહ આદેશ પહોંચાડવા માટે ફરિશ્તાઓ માંથી પણ રસૂલને પસંદ કરી લે છે અને માનવીઓ માંથી પણ, નિ:શંક અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો, જોવાવાળો છે.

(76) ૭૬) તે ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તેમની આગળ છે, જે કંઇ તેમનાથી અદ્રશ્ય છે અને અલ્લાહ તરફ જ દરેક કાર્ય ફેરવવામાં આવે છે.

(77) ૭૭) હે ઈમાનવાળાઓ ! રૂકુઅ, સિજદા કરતા રહો અને પોતાના પાલનહારની બંદગીમાં લાગેલા રહો અને સત્કાર્ય કરતા રહો, જેથી તમે સફળ થઇ જાવ.

(78) ૭૮) અને અલ્લાહના માર્ગમાં તે રીતે જિહાદ કરો, જે રીતે જિહાદ કરવાનો હક છે, તેણે જ તમને (પોતાના દીનનાં કામ માટે) પસંદ કરી લીધા છે, અને દીન બાબતે તમારા પર કોઈ તંગી નથી રાખી, પોતાના પિતા ઇબ્રાહીમના દીન પર અડગ રહો, તે અલ્લાહએ જ તમારું નામ આ પહેલા મુસલમાન રાખ્યું હતું અને આ (કુરઆન)માં પણ (મુસલમાન રાખ્યું છે), જેથી પયગંબર તમારા પર સાક્ષી બની જાય અને તમે બધા માટે સાક્ષી બની જાવ, બસ ! તમારે નમાઝ પઢતા રહેવું જોઇએ અને ઝકાત આપતા રહેવું જોઇએ અને અલ્લાહના (દીનને) મજબૂતી સાથે થામી લેવો જોઇએ, તે જ તમારો કારસાજ છે, બસ ! તે કેટલો સારો કારસાજ છે અને કેટલો શ્રેષ્ઠ મદદ કરનાર.