(1) ૧) કૉફ ! કસમ છે, તે કુરઆનની, જે ભવ્ય શાનવાળું છે.
(2) ૨) પરંતુ તેઓ એ વાત પર આશ્ર્ચર્ય કરે છે કે તેઓ પાસે તેમના માંથી જ એક ડરાવનાર આવ્યો. તો કાફિરોએ કહ્યુ કે આ તો અદભુત વાત છે.
(3) ૩) શું જ્યારે અમે મૃત્યુ પામ્યા પછી માટી થઇ જઇશું ? (તો ફરીવાર ઉઠાવવામાં આવીશું?) પછી વાત તો સમજની બહાર છે.
(4) ૪) અમે જાણીએ છીએ કે ધરતી (તેમના મૃત શરીર) માંથી કઇ કઈ વસ્તુ ઘટાડે છે અને અમારી પાસે એક કિતાબ છે, જેમાં દરેક વસ્તુ સુરક્ષિત છે.
(5) ૫) પરંતુ જ્યારે તેમની પાસે સાચી વાત આવી ગઈ ઓ તેઓએ તેને જુઠલાવી દીધું, બસ ! તેઓ એક મૂંઝવણમાં પડી ગયા છે.
(6) ૬) શું તેઓએ પોતાની ઉપર આકાશ તરફ નથી જોતા ? કે અમે તેને કેવી રીતે બનાવ્યું છે, અને શણગાર્યું છે, તેમાં કોઇ કાણું નથી.
(7) ૭) અને ધરતીને અમે પાથરી દીધી અને તેમાં અમે પહાડો નાખી દીધા અને તેમાં અમે અલગ અલગ પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડી.
(8) ૮) (તે વસ્તુઓમાં) દરેક ઝૂક્નાર બંદાઓ શિખામણ અને (નસીહત પ્રાપ્ત કરવાનો સામાન) છે .
(9) ૯) અને અમે આકાશ માંથી બરકતવાળું પાણી વરસાવ્યું અને તેનાથી બગીચાઓ અને અનાજના દાણા ઉગાડ્યાં, જેમને કાપવામાં આવે છે.
(10) ૧૦) અને ખજૂરોના ઊંચા ઊંચા વૃક્ષો જેમના ગુચ્છા એક પર એક છે.
(11) ૧૧) આ બંદાઓની રોજી છે અને અમે પાણી વડે મૃત જમીનને જીવિત કરીએ છીએ, (તમારું જમીન માંથી બીજીવાર) નીકળવું પણ આવી જ રીતે થશે.
(12) ૧૨) આ પહેલા નૂહની કોમે,કૂંવાવાળાઓ અને ષમૂદીયોએ જુઠલાવ્યા .
(13) ૧૩) આદ,ફિરઔને અને લૂતના લોકોએ પણ (જુઠલાવ્યા).
(14) ૧૪) અને અયકહવાળાઓએ અને તુબ્બઅ ની કોમવાળાએ પણ, સૌએ પયગંબરોને જૂઠલાવ્યા, બસ ! મારા અઝાબનું વચન તેઓ પર સાચુ થઇ ગયું
(15) ૧૫) શું અમે પ્રથમ વખત પેદા કરી થાકી ગયા ? (પરંતુ સાચી વાત તો એ છે કે) આ લોકો નવા સર્જન વિશે શંકામાં પડેલા છે.
(16) ૧૬) અમે માનવીનું સર્જન કર્યુ છે અને તેઓના હૃદયોમાં જે વિચારો ઉત્પન્ન થાય છે તેને પણ અમે જાણીએ છીએ અને અમે તેની ધોરી નસથી પણ વધુ નજીક છે.
(17) ૧૭) જ્યારે કે બે (ફરિશ્તાઓ) દરેક વસ્તુને નોંધ કરનાર જમણી અને ડાબી બાજુ બેસી બધું જ લખી રહ્યા છે.
(18) ૧૮) (માનવી) મોં વડે કોઇ શબ્દ બોલી શકતો નથી પરંતુ તેની ઉપર એક દેખરેખ રાખનારા તૈયાર છે.
(19) ૧૯) અને મૃતની બેહોશી સાચે જ આવીને રહેશે, (હે માનવી!) આ તે વસ્તુ છે, જેનાથી તું કતરાતો હતો.
(20) ૨૦) અને (પછી જ્યારે) સૂરમાં ફૂંક મારવામાં આવશે, (તો તેને કહેવામાં આવશે કે) આ જ અઝાબના વચનનો દિવસ છે.
(21) ૨૧) અને દરેક વ્યક્તિ તે દિવસે એવી રીતે આવશે કે તેની સાથે એક હાંકનાર અને એક શાક્ષી આપનાર (ફરિશ્તો) હશે.
(22) ૨૨) નિ:શંક તમે તે દિવસથી ગાફેલ હતા, પરંતુ આજે અમે તમારી આંખો પરથી પરદો હટાવી દીધો, બસ ! આજે તારી નઝર ખુબ જ તેઝ થઇ ગઈ.
(23) ૨૩) તેનો સાથી (ફરિશ્તો) કહેશે, આ રહ્યું તેનું કર્મનોધ, મારી પાસે હાજર છે.
(24) ૨૪) (હાંકનાર અને સાક્ષી આપનાર બન્ને ફરિશ્તાઓને આદેશ આપવામાં આવશે) કે દરેક ગુમરાહ અને વિદ્રોહી લોકોને જહન્નમમાં ધકેલી દો.
(25) ૨૫) જે સદકાર્યોથી રોકનાર, હદ વટાવી જનાર અને શંકા કરનાર હતા.
(26) ૨૬) જેણે અલ્લાહ સાથે બીજાને ઇલાહ બનાવી રાખ્યા હતા, બસ ! તેને સખત અઝાબમાં ધકેલી દો.
(27) ૨૭) તેની સાથેનો (શૈતાન) કહેશે હે અમારા પાલનહાર મેં તેને વિદ્રોહી નહતો બનાવ્યો, પરંતુ આ પોતે જ દૂરની ગુમરાહીમાં હતો.
(28) ૨૮) (અલ્લાહ) કહેશે બસ ! મારી સામે ઝઘડવાની વાત ન કરો, હું તો પહેલાથી જ તમારી તરફ ચેતવણી (અઝાબનું વચન) મોકલી ચુકયો હતો.
(29) ૨૯) મારી પાસે વાત બદલાતી નથી અને હું મારા બંદાઓ પર ઝુલ્મ કરવાવાળો નથી.
(30) ૩૦) તે દિવસે અમે જહન્નમને પૂછીશું, શું તું ભરાઇ ગઇ ? તે જવાબ આપશે, શું હજુ વધારે છે ?
(31) ૩૧) અને જન્નત સંયમરાખનાર માટે નજીક કરવામાં આવશે, થોડીક પણ દૂર નહી હોય.
(32) ૩૨) આ તે છે, જેનું વચન તમને આપવામાં આવતુ હતું, દરેક તે વ્યક્તિ માટે જે ઝૂક્નાર અને નિયંત્રણ રાખનાર હશે,
(33) ૩૩) જે રહમાનથી વિણદેખે ડરે છે, અને તૌબા કરનારૂ હૃદય લાવ્યો હશે.
(34) ૩૪) તમે આ જન્નતમાં સલામતી સાથે પ્રવેશ પામો, તે દિવસ હંમેશા માટેનો દિવસ હશે.
(35) ૩૫) આ (લોકો) ત્યાં જે વસ્તુની ઈચ્છા કરશે, તેમને મળી જશે, અને અમારી પાસે તેના કરતા વધારે વસ્તુ હાજર છે.
(36) ૩૬) અને આ પહેલા પણ અમે ઘણી કોમોને નષ્ટ કરી ચુકયા છે, જે તેમના કરતા વધુ શક્તિશાળી હતી, (જ્યારે અઝાબ આવ્યો) તે લોકોએ શહેરનો ખૂણો ખૂણો શોધી કાઢ્યો કે તેમને શરણ માટે કોઈ જગ્યા મળી જાય.
(37) ૩૭) આમાં હૃદયવાળા માટે શિખામણ છે, અને તેના માટે જે ધ્યાનધરીને સાંભળે અને તે હાજર હોય.
(38) ૩૮) નિ:શંક અમે આકાશ અને ધરતી અને જે કંઇ તેઓની વચ્ચે છે, દરેક વસ્તુઓને છ દિવસમાં પેદા કરી, અને અમે સહેજ પણ થાકયા નથી.
(39) ૩૯) બસ ! (હે નબી) આ લોકો જે કંઇ પણ કહે છે, તમે તેના પર ધીરજ રાખો અને પોતાના પાલનહારનાનામની પ્રશંસા તસ્બીહ સાથે સુર્યોદય અને સુર્યાસ્ત પહેલા કરો.
(40) ૪૦) અને રાતના કોઇ પણ સમયે અને નમાઝ પછી પણ તેની તસ્બીહ કરતા રહો.
(41) ૪૧) અને ધ્યાનથી સાંભળો કે જે દિવસ એક પોકારવાવાળો નજીકની જગ્યાએથી પોકારશે.
(42) ૪૨) (અને) દરેક લોકો તે સખત ચીસને નિશ્ર્ચિતપણે સાંભળી લેશે, આ (જમીન માંથી બીજીવાર) નીકળવાનો દિવસ હશે.
(43) ૪૩) અમે જ જીવિત કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ. અને અમારી પાસે પાછા આવવાનું છે.
(44) ૪૪) જે દિવસે ધરતી ફાટી પડશે અને તેઓ દોડતા (નીકળી પડશે), આ પ્રમાણે ભેગા કરવા, અમારા માટે ખુબ જ સરળ છે
(45) ૪૫) જે કંઇ આ લોકો કહી રહ્યા છે, અમે ખુબ સારી રીતે જાણીએ છીએ અને તમે તેઓના પર સમર્થ નથી, તો તમે તે દરેક વ્યક્તિને નસીહત કરતા રહો, જે મેં આપેલ અઝાબના વચનથી ડરે છે.