(1) ૧) હા-મીમ્
(2) ૨) કસમ છે આ સ્પષ્ટ કિતાબની !
(3) ૩) અમે આ કુરઆનને અરબી ભાષામાં બનાવ્યું, જેથી તમે સમજી શકો.
(4) ૪) નિ:શંક આ કુરઆન "લોહે મહફૂઝ"માં છે અને અમારી નજીક ઉચ્ચ દરજ્જા વાળી, હિકમતવાળી છે.
(5) ૫) શું અમે આ શિખામણને તમારાથી એટલા માટે દૂર કરી દઇએ કે તમે હદવટાવી જનારા લોકો છો.
(6) ૬) અને અમે પહેલાના લોકો માટે કેટલાંય પયગંબરો મોકલ્યા.
(7) ૭) અને જ્યારે પણ તેમની પાસે કોઈ પયગંબર આવ્યા, તો તેમણે તેમની મશ્કરી જ કરી.
(8) ૮) બસ ! અમે તેમને નષ્ટ કરી દીધા જો કે તે લોકો તમારા કરતા વધારે શક્તિશાળી હતા અને અમે આગળના લોકોનું ઉદાહરણ આપી ચૂક્યા છે.
(9) ૯) જો તમે તેમને પૂછશો કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું, તો ખરેખર તેમનો જવાબ એ જ હશે કે તેમનું સર્જન વિજયી અને હિકમતવાળા (અલ્લાહ)એ જ કર્યું છે.
(10) ૧૦) તે જ છે, જેણે તમારા માટે ધરતીને પાથરણું બનાવી અને તેમાં તમારા માટે માર્ગો બનાવ્યા, જેથી તમે (પોતાની મંજીલ સુધી પહોચવા માટે) માર્ગ મેળવી શકો.
(11) ૧૧) તેણે જ આકાશ માંથી એક પ્રમાણ મુજબ પાણી વરસાવ્યું, બસ ! અમે તેના વડે નિષ્પ્રાણ ઝમીનને જીવિત કરી દીધી, આવી જ રીતે તમે (પણ ઝમીન માંથી) કાઢવામાં આવશો.
(12) ૧૨) જેણે દરેક વસ્તુના જોડીદાર બનાવ્યા અને તમારા માટે હોડીઓ બનાવી અને ઢોર બનાવ્યા, જેમના પર તમે સવારી કરો છો.
(13) ૧૩) જેથી તમે તેમની પીઠ પર બેસીને સવારી કરો, જ્યારે તેમના પર સીધા બેસી જાવ પછી પોતાના પાલનહારની નેઅમતને યાદ કરો, અને કહો કે તે પવિત્ર છે, જેણે આ (ઢોરોને) અમારા વશમાં કરી દીધા, જોકે અમારી પાસે (આ ઢોરોને) વશમાં કરવાની શક્તિ ન હતી.
(14) ૧૪) ખરેખર અમે અમારા પાલનહાર તરફ પાછા ફરીશું.
(15) ૧૫) અને તે લોકોએ અલ્લાહના કેટલાક બંદાઓને તેનો ભાગ ઠેરાવી દીધા, નિ:શંક મનુષ્ય ખુલ્લો કૃતધ્ની છે.
(16) ૧૬) શું અલ્લાહ તઆલાએ પોતાના સર્જન માંથી પોતાના માટે દીકરીઓ રાખી અને તમને દીકરા આપ્યા ?
(17) ૧૭) જો કે તેમના માંથી જ્યારે કોઇને (દીકરીનાં જન્મ)ની જાણ કરવામાં આવે છે, જેની નિસ્બત તેણે અલ્લાહ તરફ કરી હતી, તો તેનો ચહેરો કાળો પડી જાય છે અને તે નિરાશ થઇ જાય છે.
(18) ૧૮) શું (અલ્લાહના સંતાન દીકરીઓ છે) ? જેમનું પાલન-પોષણ ઘરેણામાં થયું અને ઝઘડામાં (પોતાની વાત) સ્પષ્ટ નથી કરી શકતી ?
(19) ૧૯) અને તેમણે ફરિશ્તાઓને, જેઓ રહમાનની બંદગી કરે છે, દીકરીઓ ઠેરવી દીધી, શું તેમના સર્જન વખતે તેઓ હાજર હતા ? તેમની આ સાક્ષીને લખી લેવામાં આવશે અને તેમને પૂછવામાં આવશે.
(20) ૨૦) અને કહે છે કે જો અલ્લાહ ઇચ્છતો તો અમે તેમની બંદગી ન કરતા, તેમને આ વિશેની કંઈ પણ જાણ નથી, આ તો ફક્ત બકવાસ કરે છે.
(21) ૨૧) શું અમે તે લોકોને આ પહેલા કોઇ કિતાબ આપી છે ? જેને આ લોકોએ મજબૂતીથી પકડી રાખી છે.
(22) ૨૨) (ના-ના) પરંતુ આ લોકો કહે છે કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગ પર ચાલી રહ્યા છે.
(23) ૨૩) આવી જ રીતે તમારાથી પહેલા અમે જે વસ્તીમાં કોઇ સચેત કરનાર મોકલ્યા, ત્યાંના સુખી લોકોએ આ જ જવાબ આપ્યો કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગનું અનુસરણ કરનારા છે.
(24) ૨૪) (પયગંબરે) કહ્યું કે શું હું તમારી પાસે તેના કરતા ઉત્તમ માર્ગ લઇને આવું , જેના પર તમે તમારા પૂર્વજોને જોયા? (તો પણ તમે તેમનું જ અનુસરણ કરશો?) તો તેમણે જવાબ આપ્યો કે જે આદેશ લઈને તમને મોકલવામાં આવ્યા છે, અમે તેનો ઇન્કાર કરીએ છીએ,
(25) ૨૫) બસ ! અમે તેમની સાથે બદલો લીધો અને જોઇ લો, જુઠલાવનારા લોકોની દશા કેવી થઇ.
(26) ૨૬) અને (તે સમયને યાદ કરો) જ્યારે ઇબ્રાહીમે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે હું તે વસ્તુને નથી માનતો, જેની બંદગી તમે કરો છો.
(27) ૨૭) હું તો ફક્ત તેની જ બંદગી કરું છું, જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન પણ આપશે.
(28) ૨૮) (અને ઇબ્રાહીમ) આ જ વાત પોતાના સંતાનમાં પણ છોડી ગયા, જેથી લોકો (શિર્કથી) છેટા રહે.
(29) ૨૯) પરંતુ મેં તે લોકોને અને તેમના પૂર્વજોને (દુનિયાનો) સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની પાસે સત્ય અને સ્પષ્ટ રીતે જાણકારી આપનારા પયગંબર આવી ગયા.
(30) ૩૦) અને સત્ય જોતા જ પોકારી ઉઠયા કે આ તો જાદુ છે અને અમે તેનો ઇન્કાર કરીએ છીએ.
(31) ૩૧) અને (કાફિરો) કહેવા લાગ્યા, આ કુરઆન તે બન્ને શહેરના લોકો માંથી કોઇ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ પર કેમ ઉતારવામાં ન આવ્યું ?
(32) ૩૨) શું તમારા પાલનહારની રહમતના ભાગ પાડે છે ? અમે જ દુનિયાના જીવનની રોજી તેમની વચ્ચે વહેંચી છે અને એકને બીજા પર પ્રભુત્વ આપ્યું છે, જેથી તેઓ એકબીજાની ખિદમત લઈ શકે, અને તમારા પાલનહારની નેઅમત તે વસ્તુ કરતા ઉત્તમ છે, જે આ લોકો ભેગી કરી રહ્યા છે.
(33) ૩૩) અને જો એ વાત ન હોત કે દરેક લોકો એક જ માર્ગ (કુફ્ર) પર આવી જાય, તો રહમાનનો ઇન્કાર કરનારાઓના ઘરની છતોને અમે ચાંદીની બનાવી દેતા, અને સીડીઓને પણ, જેના પર ચઢે તેઓ છે.
(34) ૩૪) અને તેમના ઘરોના દરવાજા અને સિંહાસન પણ, જેના પર તેઓ તકિયા લગાવી બેસતા.
(35) ૩૫) અને આ બધું જ સોના અને ચાંદીનું બનાવી દેતા, આ દરેક વસ્તુ અમસ્તુ જ દુનિયાના જીવનના લાભ માટે છે અને આખિરત તો તમારા પાલનહારની નજીક ડરવાવાળાઓ માટે જ છે.
(36) ૩૬) અને જે વ્યક્તિ રહમાનની યાદથી બેદરકારી કરે, અમે તેના પર એક શેતાન નક્કી કરી દઇએ છીએ, તે જ તેનો મિત્ર બને છે.
(37) ૩૭) અને તે શેતાન તેમને સાચા માર્ગથી રોકે છે જ્યારે કે તેઓ એવું અનુમાન કરતા હોય છે કે અમે સત્ય માર્ગ પર છે.
(38) ૩૮) ત્યાં સુધી કે જ્યારે તે અમારી પાસે આવશે, તો (પોતાના મિત્રને)કહેશે કે કાશ ! મારી અને તારી વચ્ચે પૂર્વ અને પશ્ચિમ જેટલું અંતર હોત, તું ઘણો જ ખરાબ મિત્ર છે.
(39) ૩૯) અને (તેમને કહેવામા આવશે) જ્યારે તમે જુલમ કરી ચુક્યા છો તો તો આજના દિવસે (આવી વાત) કઈ ફાયદો નહિ પહોચાડી શકે. તમે સૌ અઝાબમાં સરખા છો.
(40) ૪૦) (હે પયગંબ) શું તમે બહેરાને સંભળાવી શકો છો ? અથવા આંધળાને માર્ગ બતાવી શકો છો અને તેને, જે સ્પષ્ટ રીતે ગુમરાહીમાં પડેલા છે ? તેમને હિદાયત આપી શકો છો?
(41) ૪૧) બસ ! જો અમે તમને અહીંયાથી લઇ જઇએ, તો પણ અમે તેમની સાથે બદલો લઇશું.
(42) ૪૨) અથવા તેમની સાથે જે (અઝાબનું) વચન કર્યું છે, તે તમને બતાવી દેવા માટે પણ શક્તિ ધરાવીએ છીએ.
(43) ૪૩) બસ ! જે વહી તમારી તરફ કરવામાં આવી છે તેને મજબૂતીથી પકડી રાખો, નિ:શંક તમે સત્ય માર્ગ પર છો.
(44) ૪૪) અને નિ:શંક આ કિતાબ તમારા માટે અને તમારી કોમ માટે શિખામણ છે અને નજીક માંજ તમને (આના વિશે) પૂછવામાં આવશે.
(45) ૪૫) અને અમારા તે પયગંબરોને પૂછી લો, જેમને અમે તમારા કરતા પહેલા મોકલ્યા હતા, કે શું અમે રહમાન સિવાય બીજા ઇલાહ બનાવ્યા હતા ? જેમની બંદગી કરવામાં આવે ?
(46) ૪૬) અને અમે મૂસાને અમારી નિશાનીઓ લઇને ફિરઔન અને તેના લોકો તરફ મોકલ્યા, તો (મૂસાએ જઇને) કહ્યું કે, હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનો પયગંબર છું.
(47) ૪૭) બસ ! જ્યારે તેઓ અમારી નિશાનીઓ લઇને તેઓને પાસે પહોંચ્યા, તો તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા.
(48) ૪૮) અને જે નિશાની અમે તેઓને બતાવતા હતા, તે એકબીજાથી ચઢીયાતી હતી અને અમે તેમના પર અઝાબ ઉતારતા રહ્યા, જેથી તેઓ સુધારો કરી લે.
(49) ૪૯) અને તે લોકોએ કહ્યું કે, હે જાદુગર ! અમારા માટે પોતાના પાલનહારથી તેના માટે દુઆ કર, જેનું વચન તે અમને આપ્યું છે, નિ:શંક અમે સત્ય માર્ગ પર આવી જઇશું.
(50) ૫૦) પછી જ્યારે અમે તેમના પરથી અઝાબ દૂર કરી દેતા, તો તેઓ તે જ સમયે તેમનું વચન તોડી નાંખતા.
(51) ૫૧) અને ફિરઔને (એક વખતે) પોતાની કોમમાં જાહેર કરાવ્યું અને કહ્યું કે હે મારી કોમના લોકો ! શું મિસ્રનું શહેર મારું નથી ? અને મારા (મહેલો) નીચે આ નહેરો વહી રહી છે, શું તમે જોતા નથી ?
(52) ૫૨) પરંતુ હું તે તુચ્છ વ્યક્તિ કરતા શ્રેષ્ઠ છું, જે સ્પષ્ટ બોલી પણ નથી શકતો.
(53) ૫૩) (જો આ પયગંબર હોય) તો તેના માટે સોનાની બંગડીઓ કેમ ન ઉતરી ? અથવા તેની સાથે પ્રતિષ્ઠિત ફરિશ્તાઓ કેમ ન આવ્યા ?
(54) ૫૪) તેણે પોતાની કોમને પથભ્રષ્ટ કરી દીધા અને તે લોકોએ તેનું જ અનુસરણ કર્યું, ખરેખર આ બધા અવજ્ઞાકારી લોકો હતા.
(55) ૫૫) પછી જ્યારે તેઓએ અમને ગુસ્સે કર્યા, તો અમે તેમની સાથે બદલો લીધો અને સૌને ડુબાડી દીધા.
(56) ૫૬) બસ ! અમે તે લોકોને એક દાસ્તાન બનાવી દીધા અને બીજા લોકો માટે શિખામણ મેળવવાનું કારણ બનાવી દીધા.
(57) ૫૭) અને જ્યારે ઈસા બિન મરયમનું ઉદાહરણ આપવામાં આવ્યું, તો તમારી કોમ ચીસો પાડવા લાગી.
(58) ૫૮) અને કહેવા લાગ્યા કે શું અમારા ઇલાહ સારાં છે અથવા તે (ઈસા)? તે લોકોનું આવું કહેવું ફક્ત ઝઘડાના હેતુથી હતું. પરંતુ આ લોકો ઝઘડો કરનારા જ છે.
(59) ૫૯) ઈસા ફક્ત એક બંદા હતા, જેના પર અમે ઉપકાર કર્યા અને તેમને બની ઇસ્રાઇલના માટે (પોતાની કુદરતની) નિશાની બનાવી દીધી.
(60) ૬૦) જો અમે ઇચ્છતા તો તમારા બદલામાં ફરિશ્તાઓને લાવતા, જેઓ ધરતી પર નાયબ બનતા.
(61) ૬૧) અને નિ:શંક (ઈસા) કયામતની એક નિશાની છે, બસ ! તમે (કયામત) વિશે શંકા ન કરો અને મારું અનુસરણ કરો, આ જ સત્ય માર્ગ છે.
(62) ૬૨) અને શેતાન તમને આ માર્ગથી રોકી ન લે, ખરેખર તે તમારો ખુલ્લો દુશ્મન છે.
(63) ૬૩) અને જ્યારે ઈસા સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા હતા, તો કહ્યું કે હું તમારી પાસે હિકમત લઇને આવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે તમે થોડીક બાબતોમાં વિવાદ કરો છો, તેને સ્પષ્ટ કરી દઉં, બસ ! તમે અલ્લાહ તઆલાથી ડરો અને મારું કહ્યું માનો.
(64) ૬૪) મારો અને તમારો પાલનહાર ફક્ત અલ્લાહ તઆલા છે, બસ ! તમે સૌ તેની બંદગી કરો, સત્ય માર્ગ આ (જ) છે.
(65) ૬૫) પછી તેમના માંથી કઈ જૂથોએ અંદરોઅંદર વિવાદ કર્યો, બસ ! જાલિમ લોકો દુ:ખદાયી અઝાબના દિવસની ખરાબી છે.
(66) ૬૬) શું આ લોકો ફક્ત કયામતની રાહ જૂએ છે કે તે અચાનક તેમના પર આવી જશે અને તેમને જાણ પણ નહીં થાય.
(67) ૬૭) તે દિવસે પરહેજ્ગાર સિવાય દરેક મિત્રો એકબીજાના દુશ્મન બની જશે.
(68) ૬૮) હે મારા બંદાઓ ! આજના દિવસે તમારા માટે ન કોઇ દુ:ખ હશે અને ન તો તમે નિરાશ થશો.
(69) ૬૯) જે અમારી આયતો પર ઈમાન લાવ્યા અને તેઓ મુસલમાન હતા.
(70) ૭૦) તમે અને તમારી પત્નીઓ રાજી-ખુશીથી જન્નતમાં પ્રવેશો.
(71) ૭૧) તેમની ચારેય બાજુથી સોનાની રકાબી અને સોનાના પ્યાલા લાવવામાં આવશે, તે લોકો જેની ઇચ્છા કરશે અને જેનાથી તેઓની આંખોને શાંતિ મળે, બધું જ ત્યાં હશે અને તમે તેમાં હંમેશા રહેશો.
(72) ૭૨) આ જ તે જન્નત છે, જેના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો. પોતાના તે કર્મોના બદલામાં, જે તમે (દુનિયામાં) કરતા રહ્યા.
(73) ૭૩) ત્યાં તમારા માટે ખૂબ જ ફળો હશે, જેને તમે ખાતા રહેશો.
(74) ૭૪) (અને) અપરાધી લોકો જહન્નમમાં હંમેશા રહેશે.
(75) ૭૫) આ અઝાબ ક્યારેય તેમના પરથી હળવો કરવામાં નહીં આવે અને તેઓ તેમાં નિરાશ પડ્યા રહેશે.
(76) ૭૬) અને અમે તેમના પર જુલમ નથી કર્યો, પરંતુ તે પોતે જ જાલિમ હતા.
(77) ૭૭) અને પોકારી-પોકારીને કહેશે કે હે દ્વારપાળ ! તમારો પાલનહાર અમને મૃત્યુ આપી દે, (તો સારું રહેશે) તે કહેશે કે તમને (હંમેશા) અહિયાં જ રહેવાનું છે.
(78) ૭૮) અમે તો તમારી પાસે સત્ય લઇને આવ્યા, પરંતુ તમારા માંથી વધારે પડતા લોકો સત્યથી ચીડાતા હતા.
(79) ૭૯) શું તે લોકોએ કોઇ કાર્યનો પાક્કો ઇરાદો કરી લીધો છે, (જો આવી વાત હોય) તો અમે પણ ઠોસ નિર્ણય કરી દઈએ છીએ.
(80) ૮૦) શું તે લોકો અનુમાન કરે છે કે અમે તેમની છૂપી અને ખાનગી વાતો નથી જાણતા ? (નિ:શંક અમે બધું સાંભળી રહ્યા છીએ). ઉપરાંત અમારા નક્કી કરેલા (ફરિશ્તાઓ) તેમની પાસે જ લખી રહ્યા છે.
(81) ૮૧) (હે પયગંબર ) તમે તેમને કહી દો ! કે જો કદાચ રહમાનને કોઈ દીકરો હોત, તો હું સૌ પ્રથમ બંદગી કરવાવાળો હોત.
(82) ૮૨) તે પાક છે, આકાશો, ધરતી અને અર્શનો પાલનહાર, તે વાતોથી, જેનું આ લોકો વર્ણન કરી રહ્યા છે.
(83) ૮૩) હવે (હે પયગંબર) તમે તે લોકોને આજ તકરાર અને વિવાદમાં છોડી દો, ત્યાં સુધી કે તે લોકો તે દિવસ જોઇ લે, જેનું વચન તેમને આપવામાં આવે છે.
(84) ૮૪) આકાશોમાં પણ તે જ ઇલાહ છે અને ધરતીમાં પણ તે જ ઇલાહ છે, તે ખૂબ હિકમતવાળો અને સંપૂર્ણ જ્ઞાનવાળો છે.
(85) ૮૫) અને તે ખૂબ જ બરકતવાળો છે, જેની પાસે આકાશો અને ધરતી અને તેની વચ્ચેની દરેક વસ્તુનું સામ્રાજ્ય છે અને કયામતનું જ્ઞાન પણ તે જ જાણે છે અને તેની જ તરફ તમે સૌ પાછા ફરશો.
(86) ૮૬) જેમને આ લોકો અલ્લાહ સિવાય પોકારે છે, તેઓ ભલામણ કરવાનો અધિકાર નથી ધરાવતા, (ભલામણ કરવાનો અધિકાર તેનો છે) જે સત્ય વાતને માને અને તેમને જ્ઞાન પણ હોય.
(87) ૮૭) જો તમે તે લોકોને પૂછો કે તેમનું સર્જન કોણે કર્યું, તો નિ:શંક તે લોકો જવાબ આપશે કે "અલ્લાહ"એ, પછી આ લોકો ક્યાં જઇ રહ્યા છે.
(88) ૮૮) અને તેમના (પયગંબરનું) એવું કહેવું છે કે હે મારા પાલનહાર ! ખરેખર આ તે લોકો છે, જેઓ ઈમાન નથી લાવતા.
(89) ૮૯) બસ ! તમે તેમનાથી મોઢું ફેરવી લો અને સલામ કહી દો, તે લોકો નજીકમાં જ જાણી લેશે.